Ramanbhai Nilkanth

0

 

રમણભાઈ મહીપતરામ નીલકંઠ



 નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, હાસ્યલેખક, કવિ.

જન્મ ૧૩ માર્ચ ૧૮૬૮ નાં રોજ અમદાવાદ ખાતે રૂપકુંવરબા અને મહીપતરામ નીલકંઠને ત્યાં થયો હતો. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે પૂર્ણ કર્યા બાદ, તેઓ પંદર વર્ષે મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજ, અમદાવાદ તથા એલ્ફિન્સ્ટન કોલેજમુંબઇમાં આગળ અભ્યાસ કર્યો હતો. ઇ.સ. ૧૮૮૭ના વર્ષમાં તેમણે બી.એ. ની પદવી મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતે એલ.એલ.બી. સુધીની પદવી પણ પ્રાપ્ત કરી. તેમણે પ્રથમ હંસવદન સાથે લગ્ન કર્યા, પરંતુ નાની ઉંમરે મૃત્યુ થવાને કારણે તેમણે બીજાં લગ્ન જાણીતા સાહિત્યકાર વિદ્યાગૌરી સાથે ઇ.સ. ૧૮૮૭ના વર્ષમાં કર્યાં હતા. ૬ માર્ચ ૧૯૨૮ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું.

તેમની દિકરીઓ વિનોદિની નીલકંઠ અને સરોજિની નીલકંઠ પણ જાણીતાં સામાજિક કાર્યકર તેમ જ સાહિત્યકાર થયા હતા.  બ્રિટિશ પ્રવાસ લેખક પિકો ઐયર તેમના પ્રપૌત્ર છે.

લેખક હોવાની સાથે સાથે, શરુઆતના વર્ષોમાં તેઓ સરકારી નોકરીમાં કારકુન તરીકે જોડાયા અને ત્યારબાદ શિરસ્તેદાર અને આગળ વધતા ગોધરા ખાતે જજ તરીકે સેવા બજાવી હતી. બ્રિટિશ સરકાર દ્વારા તેમને પહેલા રાય બહાદુર અને પછી સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમણે અમદાવાદના મેયર તરીકે પણ ફરજ બજાવી હતી. ૧૯૨૩માં અમદાવાદ રેડ ક્રોસની સ્થાપના થયા પછી તેઓ તેના પ્રથમ સેક્રેટરી બન્યા હતા. ૧૯૨૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા હતા.

ભદ્રં ભદ્ર’ (૧૯૦૦), ‘શોધમાં’ (અધૂરી, ૧૯૧૫) જેવી નવલકથાઓ, ‘રાઈનો પર્વત’ (૧૯૧૩) નાટક; ‘હાસ્યમંદિર’ (વિદ્યાબેન સાથે, ૧૯૧૫)ના હળવા નિબંધો; ‘કવિતા અને સાહિત્ય’-૧ (૧૯૦૪), ‘કવિતા અને સાહિત્ય’-૨ (૧૯૦૪), ‘કવિતા અને સાહિત્ય’-૩ (૧૯૨૮), ‘વાક્યપૃથક્કૃતિ અને નિબંધ રચના’ (૧૯૦૩) જેવા ગ્રંથોના વિવેચન - વ્યાખ્યાનો અને ભાષાવિચારણા; ‘કવિતા અને સાહિત્ય’-૪ (૧૯૨૯) ની કવિતા - વાર્તાપ્રવૃત્તિ; ‘ધર્મ અને સમાજ’-૧ (૧૯૩૨) ધર્મ અને સમાજ-૨’ (૧૯૩૫)નાં ધર્મ અને સમાજ વિષેની તત્વચર્ચાને લગતાં વ્યાખ્યાનો; ‘ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસઅને વિવાહવિધિ’ (૧૮૮૯) જેવાં ઇતિહાસ - સંસ્કાર આલેખતાં પુ્સ્તકો અને જ્ઞાનસુધાનું સંપાદન-એમ અનેકવિધ સાહિત્યિક પ્રદાન દ્વારા તેઓ ગુજરાતી સાહિત્યમાં સુખ્યાત થયા છે.
          ગુજરાતી ભવાઈ, પાશ્ચાત્ય નાટક અને સંસ્કૃત નાટકનાં તત્વો જાળવીને રચાયેલા રાઈનો પર્વતનાટકમાં મણિલાલ નભુભાઈના કાન્તાનાટકની પણ ઠીકઠીક અસર જોવાય છે. શુદ્ધ સાધ્યને પ્રાપ્ત કરવા માટે સાધનની અશુદ્ધિનો સ્વીકાર કરી નિમંત્રેલા સંઘર્ષનું અને એ સંઘર્ષમાંથી છેવટે સુ્પ્રાપ્ય બનતી સર્વાંગશુદ્ધિનું આ નાટક છે. પુ્ત્ર જગદીપના સાચા હકની રાજગાદી તેને મળે એ માટે અમૃતદેવી સાધનની અશૃદ્ધિ સ્વીકારે છે અને માતાના પ્રેમાગ્રહને વશ થયેલો જગદીપ એમાં સંકળાય પણ છે. માતા પુત્રનાં અનુક્રમે જાલકા અને રાઈ એમ બનાવટી નામ ધારણ કરી જાલકા જે પ્રપંચો આચરે છે એના પરિણામસ્વરૂપે રાજગાદી મળી હોવા છતાં રાઈ એને ભોગવી શકતો નથી. બંને પાત્રોનો સ્વભાવભેદ, વિચારભેદ અને એમાંથી પ્રગટતો આચારભેદ નાટ્યાત્મક સંઘર્ષનું નિમિત્ત બને છે. છેલ્લા બે અંકોમાં વિધવાવિવાહની સમાજસુધારણાનો આદર્શ નજર સમક્ષ રખાયો હોવાનું કળાય છે; છતાં લેખકની સાહિત્યિક સજ્જતાના અનેકવિધ સંકેતો એમાં મોજૂદ છે. એમનું આ નાટક આજે પણ એટલું જ પ્રભાવક હોઈ અન્ય નાટ્યકારોએ એના વસ્તુરૂપને નવા દ્રષ્ટિકોણથી અપનાવી નાટકો સર્જયા-ભજવ્યાં છે.
          આ લેખકની સક્ષમ પ્રતિભા એમની હાસ્યરસિક નવલકથા ભદ્રં ભદ્રમાં નીવડી આવે છે. પશ્ચિમની પિકવિક પેપર્સકે ડોન કિહોટેજેવી કૃતિઓમાંથી પ્રેરણા મેળવીને લખાયેલી આ નવલકથાનો વિષય સુધારાવિરોધનો ઉપહાસ છે. દોલતશંકર જેવા યાવનીસંસ્કારથી દૂષિત નામનો ત્યાગ કરીને ભદ્રં ભદ્ર બનેલા એક અલ્પજ્ઞ બ્રાહ્મણની સર્વજ્ઞ તરીકે નીવડી આવવાની દાંભિક પરિસ્થિતિઓ દ્વારા હાસ્યકટાક્ષઉપહાસાદિને વિકસાવીને લેખકે નવલકથા અને પાત્રને અમર કરી દીધાં છે. જીવનચરિત્રના ઢાંચામાં ઢાળવામાં આવેલી આ નવલકથાની સંસ્કૃતપ્રચુર શૈલી પાછળનાં પ્રકરણોમાં એકતાનતાનો અનુભવ કરાવે છે અને છેવટના ભાગમાં શૈલી અને-જીવનકથારૂપ નિરૂપણ નબળું પડતું હોવાને લીધે નવલકથાનું સ્વરૂપ પણ શિથિલ બનતાં જણાય છે. એમ છતાં, ગુજરાતી નવલકથાસાહિત્યમાં અને હાસ્યસાહિત્યમાં એક વિશિષ્ટ અનનુવાદ્ય કૃતિ તરીકે ભદ્રં ભદ્રચિરસ્મરણીય રહેશે.
          કવિતા અને સાહિત્ય’- ભા. ૧-૨-૩માં લેખકનાં કાવ્યપર્યેષણા દાખવતા લેખો અને ગ્રંથાવલોકનો સંગ્રહાયાં છે. ગુજરાતી વિવેચનમાં નવલરામે કરેલા ગંભીર પ્રદાનનું અહીં લગભગ અનુસરણ છે. એટલે પાશ્ચાત્ય સાહિત્યવિચારણાનાં તત્કાલે પ્રસિદ્ધ થયેલ અલબત્ત મૂલ્યવાન-સિદ્ધાંતદર્શનોનું એમણે વિવરણાત્મક આલેખન કર્યું છે. કવિતા’, ‘કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ’, રાગધ્વનિકાવ્ય’, ‘વૃત્તિમય ભાવાભાસ’, ‘કવિતા અને નીતિ’, ‘કવિતા અને સત્યજેવા મુદ્દાઓની વિચારણાનું એમનું વિવરણાત્મક આલેખન પાશ્ચાત્ય સિદ્ધાંત અંગેની એમની સૂઝસમજનું અને એને ગુજરાતીમાં અવતારતી વેળાએ સહજસાધ્ય બનતી સર્વસ્પર્શી અને સમન્વયકારી નિરૂપણકલાનું દ્યોતક બને છે. કાવ્યનંદ’, ‘કવિત્વરીતિજેવા મુદ્દાઓની વિચારણાનો મુખ્યાધાર સંસ્કૃત કાવ્યશાસ્ત્રોમાં રહેલો જોઈ શકાય છે, પણ એનો વિષયવિસ્તાર પાશ્ચાત્ય કાવ્યવિચારણાનો આધાર પણ લે છે. છંદ અને પ્રાસને કવિતાની વાણીના સંદર્ભમાં વિચારવાની એમની દ્રષ્ટિ કવિતાનાં અંગેઅંગને એના આત્મભાવના અનુસંધાનમાં જ પામવાની પ્રવૃત્તિનો પરિચય કરાવે છે. પૃથુરાજ રાસા’, ‘કુસુમમાળા’, ‘સરસ્વતીચંદ્ર’, ‘અભંગમાળા’, ‘હૃદયવીણાવગેરે કૃતિઓનાં ચર્ચા-વિચારણા-અવલોકનમાં પણ એમની સાહિત્યિક નિષ્ઠા, બહુશ્રુતતા, રસિકતા અને મર્મગ્રાહિતાનાં વલણો પ્રેરક પરિણામો આપે છે. એમનાં વિવાદાસ્પદ વલણો પણ, સરવાળે, તો, સાહિત્યનિષ્ઠ મૂલ્યવત્તાનો અનુભવ કરાવતાં હોવાથી ધ્યાનપાત્ર બને છે.
          કવિતા અને સાહિત્ય’-૪માં હાસ્યરસવિષેના નિબંધ ઉપરાંત એમની કવિતા-વાર્તાલેખનની પ્રવૃત્તિનો પણ પરિચય મળે છે. ભોળાનાથની ભક્તિકવિતાના પ્રભાવ તળે જ જાણે લખાયેલાં હોય એવાં એમનાં ભક્તિકાવ્યોમાં ઊર્મિ કરતાં ચિંતન તરફનો ઝોક વધુ પડતો જણાય છે, જે એમણે જ વિચારેલા ઊર્મિકાવ્યના માનદંડોથી ભિન્ન પડે છે. એમની કવિતામાં ભક્તિની સાથે સંકળાતી જ્ઞાનનિષ્ઠા અને શ્રદ્ધાનું જયાં સંયોજન થાય છે ત્યાં કવિતા નીવડી આવતી જણાય છે. વાર્તાકાર તરીકે એમણે આર્થર કોનન ડોઈલની વાર્તાનુ રૂપાંતર પણ કર્યું છે અને એમની મૌલિક વાર્તા ચતુર્મુખપર પણ ડોઈલનો પ્રભાવ જણાય છે. એમની વાર્તાલેખનપ્રવૃત્તિમાં અભ્યાસીઓ ચિઠ્ઠીઅને ટપ્પાની મુસાફરીજેવી હાસ્યકૃતિઓને પણ જોડી દે છે.

કવિતા અને સાહિત્યમાં હાસ્યરસવિષેનો દોઢસો પાનાંનો નિબંધ, જે હાસ્યમંદિરમાં પણ મુકાયો છે તેમાં જે કાંઈ અભ્યાસ દેખાય છે તે હાસ્યમંદિરની હાસ્યકૃતિઓમાં લેખે લાગ્યો છે. એમની હાસ્યરસિક કૃતિઓને કોઈ ચોક્કસ સ્વરૂપના ઢાંચામાં ઢાળી શકાય એમ નથી, કારણ કે એમાં તો હાસ્યરસિક સંવાદકૃતિઓનોય સમાવેશ થયો છે જે ભૂતકાળમાં રંગમંચ પર પણ આકર્ષણ પેદા, કરી શકી હતી. અહીં નિબંધિકા, વાર્તા, ટુચકા જેવા અનેકવિધ પ્રકારનાં લખાણોમાં નર્મ-મર્મ-કટાક્ષનું વૈવિધ્ય માણી શકાય છે.

સ્ત્રોત : ઈન્ટરનેટ 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)