Type Here to Get Search Results !

Fort Songadh

Prakashkumar Gamit 0

 

સોનગઢનો કિલ્લો


 

            અનેક ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી બનેલો સોનગઢનો કિલ્લો ઇતિહાસની યાદો તાજી કરાવતો આજે પણ અડીખમ ઉભો છે. ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ નગરની પશ્ચિમે આવેલો ઐતિહાસિક કિલ્લો સમૃધ્ધ ઐતિહાસિક વારસો છે.  આવેલો ગાયકવાડી કિલ્લો છે. આ કિલ્લો સોનગઢ તાલુકાના મુખ્યમથક સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડે બંધાવેલો પ્રાચીન કિલ્લો છે, જે ઈ.સ. ૧૭૨૯થી ગાયકવાડોનું મુખ્ય થાણું હતું.

        બાલપુરી લડાઇ પછી ખંડેરાવ દભાડનું મૃત્યુ થતાં એમનું સેનાપતિનું સ્થાન પુત્ર ત્ર્યંબકરાવને મળ્યું. દામાજીરાવ ગાયકવાડની જગ્યા તેમના ભત્રીજા પીલાજીરાવ ગાયકવાડને પ્રાપ્ત થઇ, આ સોનગઢનો કિલ્લો મૂળ અહીંના મેવાસી ભીલ રાજાનો કિલ્લો હોવાનું મનાય છે. તે સમયે સોનગઢ મેવાસી ભીલોના તાબામાં હતું. આ ભીલો પાસેથી પીલાજીરાવ ગાયકવાડે સને ૧૭૧૯માં ડુંગરનો કબજો મેળવી કિલ્લો બાંધવાની શરુઆત કરી. આમ ગાયકવાડી રાજની શરૂઆત સોનગઢથી થઈ. પીલાજીરાવ એના મૂળ સ્થાપક બન્યા. કિલ્લાનાં પ્રવેશદ્વારની ડાબી બાજુ શિલાલેખ પરની માહિતી મુજબ આ કિલ્લો પીલાજીરાવે સને ૧૭૨૮-૨૯માં ફરીથી બાંધ્યો. ત્યારબાદ બાબીઓ પાસેથી વડોદરા  જીતી ત્યાં સને ૧૭૩૦માં પીલાજીરાવે ગાયકવાડી રાજની સ્થાપના કરી, જેનું મથક ઇ. સ. ૧૭૬૩ સુધી સોનગઢ ખાતે રહ્યું હતું. ગાયકવાડે ફિરંગીઓ પર વિજય મેળવ્યાની યાદમાં માતાની સ્થાપના આ કિલ્લા પર કરી હતી. આ કિલ્લા સાથે છત્રપરિ શિવાજી મહારાજની પણ કેટલીક વાતો જોડાયેલી છે.

            આ કિલ્લા ઉપર પહોંચવા માટે સર્પાકારે રસ્તો છે. કિલ્લા ઉપર મહાકાળી માતાનું માતાનું મંદિર અને દરગાહ દર્શનીય ધાર્મિક સ્થાનો છે. દશેરાના દિવસે કિલ્લા પર  મોટો મેળો ભરાય છે. કિલ્લા પર અંબાજી માતાનું પણ મંદિર આવેલું છે. અંબા માતાના દર્શન કરવા ભોયરામાંથી પ્રવેશ કરી જવું પડે છે. આ ઉપરાંત ખંડેરાવ મહારાજનું મંદિર પણ જોવા જેવું છે. અહીં બે પાણીના હોજ અને એક તળાવ છે. કિલ્લાની તળેટીમાં નીચે જૂના મહેલના અવશેષો પણ જોવાલાયક છે.

            આ કિલ્લો આજે આજે પણ અકબંધ હાલતમાં ઉભો છે. અહીં વહીવટી તંત્ર અને વ્યારા વન બિભાગ દ્રારા આ કિલ્લા પર પ્રવાસીઓને આકર્ષી શકાય એ માટે પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવાય રહ્યુ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.